Breaking

પ્રેરક પ્રસંગ

અનુભવ પણ શીખવી જાય છે


કાર બેફામ ચલાવતો એક યુવાન ટ્રાફિક પોલીસની પણ ચિંતા ન કરે.
 રોકે તો દંડ ભરી દે. એક દિવસ એક ટ્રાફિક પોલીસે તેને રોક્યો નહી.આશ્ચર્ય થયું.બીજા દિવસે પણ પોલીસે તેને ન રોક્યો.આમ ત્રીજા દિવસે પણ એમ   જ બન્યું.તે રીવર્સમાં ગાડી લઇ પાસે ગયો અને કહ્યું કે રસીદ આપો અને દંડ લઇ લો....પોલીસે નોટબુક કાઢી થોડુક લખ્યું અને તેને આપી જતો રહ્યો....પોલીસે રસીદને બદલે એક પત્ર લખેલો .તેમાં લખ્યું હતું કે,'મારી લાડકી દીકરી આ જ રીતે બેફામ ડ્રાઈવિન્ગનો ભોગ બની છે. ચાલકને સજા થઇ,,દંડ થયો,,પણ મને આખી જિંદગી વિદાયનું દુખ મળ્યું......'પત્ર વાચી યુવાન ધ્રુજી ઉઠ્યો ,,ઘેર ગયો...પુત્રીને વ્હાલ કર્યું. અને ત્યારથી કારની સ્પીડ ધીમી થઇ ગઈ..અનુભવે શીખ આપી....




દીકરી નો ભાર




નાનકડા એક ગામમાં એક બાપ-માં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ એક ટંક નું ભોજન મેળવી ગુજરાન કરતુ હતું. સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ ? તે પ્રશ્નને પોતાના લલાટ માં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા.

... ... એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..??? બાપ પણ વિચારમાં પડ્યો. બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ.

બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી. માતા ચુપ થઇ માત્ર રડવા લાગી. તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા. માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ. એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું. ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું. તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ??? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ. ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..


શિક્ષકને પત્ર

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો

આદરણીય શિક્ષકશ્રી,

==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 

==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 

==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 

==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 


નિર્ણયશકિત
એકવખત સમ્રાટ નેપોલિયન ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.
એવામાં ઘોડો એકાએક ભડક્યો અને ઘોડાનાં કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. ત્યાં જ એક સૈનિકે ઘોડાની લગામ પકડીને ઘોડાને મહામુશ્કેલીથી કાબૂમાં લીધો.
નેપોલિયને સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘Thank You, Caption.’
સૈનિક ચતુર હતો. એ નેપોલિયનનો એક સામાન્ય સૈનિક હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ નેપોલિયનને કહ્યું, ‘કઇ ટૂકડીનો?’
નેપોલિયન તેનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં કહ્યું, ‘મારી અંગરક્ષક ટૂકડીનો.’
અને આ રીતે એ સામાન્ય સૈનિકને તેની ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.


સ્વામી વિવેકાન્દ


એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’


સત્ય ઘટના
એક ખુબજ જાણીતી સત્ય ઘટનાઃ

જ્યારે તે પહેલી વખત ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૧ વર્ષ. લેજીસ્લટીવ રેસ માં હાર ત્યારે ઉંમર ૨૨ વર્ષ. ફરીથી ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૪ વર્ષ. તેની પ્રેમીકા નું મ્રુત્યુ થયું ત્યારે ઉમર વર્ષ ૨૬. માનસીક આઘાત ઉમર વર્ષ ૨૭. કોંગ્રેસ ની ચુંટણી માં હાર ઉમર ૩૪ વર્ષ. સેનેટ ની ચુંટણી માં હાર ઉમર ૪૫ વર્ષ. ઉપ રાસ્ટ્રપતી બનવા માં નિશ્ફળતા મળી ત્યારે તેની ઉમર હતી ૪૭ વર્ષ. ફરીથી સેનેટ ની ચુંટણી માં હાર ત્યારે ઉંમર ૪૯. અને જ્યારે તે અમેરીકા નાં રાષ્ટ્રપતી બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૫૨ વર્ષ.

આ માણસ હતો – અબ્રાહમ લિંક


 શિકરી નો કુતરો


એક શિકારી પાસે તદ્દન અલગ પ્રકાર નો કુતરો હતો. એ કુતરા ની ખાસીયત એ હતી કે તે પાણી પર ચાલી શકતો હતો. આ શિકારી ને થયું કે તેના મિત્રો ને આ કુતરો બતાવી પોતની બડાઈ મારવી જોઈએ. તેથી તેને પોતના એક મિત્ર ને બતક નો શિકાર કરવા બોલાવ્યો. થોડા સમય સુધી શિકાર કર્યા પછી શિકારી એ તેના કુતરા ને બધા બતક પાણી માં થી લઈ આવાવા કહ્યું. આ રીતે આખો દિવસ શિકારી અને તેનો મિત્ર બતક નો શિકાર કરતા રહ્યાં. અને દરેક વખતે શિકારી નો કુતરો પાણી પર ચાલી ને શિકાર કરેલા બતક લઈ આવતો. કુતરા ના માલિક ને આશા હતી કે તેનો મિત્ર આ જોઈ ને તેના ખુબ વખાણ કરશે.પરંતુ તેવું કાંઈ થયુ નહિ.આથી જ્યારે તેઓ શિકાર કરી ને પાછા આવતા હતા ત્યારે તે શિકારી એ તેના મિત્ર ને પુછ્યું – તેં આ કુતરા માં કંઈક વિશેશ જોયું? ત્યારે શિકારી ના મિત્ર એ જવાબ આપ્યો,હા જરુર તેણે કુતરા ની એક ખાસિયત જોયી કે તમારો કુતરો પાણી માં તરી શકતો નથી 
સારાંશ – ઘણા લોકો હંમેશા નકારાત્મક રીતે વિચારતા હોય છે.તેથી તેઓ નિરશાવાદી કહેવાય છે.




ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ
કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં
હોઈશું ? 
ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.
એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્રએને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી. 
ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ ! એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરીઅક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણોવખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ પ્રણામ.
ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું,એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી.આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો ! કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો
નોકરે કહ્યું કે : શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ ! પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.
ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એબરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મનેશિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!
કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો.ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો
  ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ?વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ!



આચરણ



મનુષ્યની ફરજ છે કે તે સત્ય અને અસત્યનો તફાવત જાણવાનો પ્રયત્ન કરે. સત્ય એ આધ્યાત્મિક જગતનું સર્વશ્રેષ્ઠ રત્ન છે અને ભગવાને તેને જાણવાની ચોક્કસ યોગ્યતા પણ મનુષ્યને આપીછે, પરંતુ આ આધુનિક જમાનાના ખરાબ વિચારનાર લોકોએ એનું સ્વરૂપ એવું ગંદું કરી નાખ્યું છે કે તેની ઓળખાણ કરવી પણ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. એના માટે સૌથી પહેલો ઉપાય એ છે કે આપણે જાતે મન, વચન અને કર્મથી હંમેશા સત્યનું પાલન કરીએ. જે માણસ સત્યનું પાલન કરે છે તે સત્ય અને અસત્યની ઓળખ પોતાના સામાન્ય જ્ઞાનથી તરત જ કરી લે છે.સત્ય અને અસત્યની ઓળખ પર એટલા માટે ભાર મૂકવાની જરૂર છે કે જગતમાં આજકાલ અનેક મૂર્ખતાપૂર્ણ અસત્ય વિચાર અને અંધવિશ્વાસ ફેલાયેલા છે અને જે માણસ તેમનો ગુલામ બની રહેછે તે ક્યારેય પ્રગતિ કરી શક્તો નથી.એટલા માટે તમારે કોઈ એવી વાત ગ્રહણ કરવી ન જોઈએ કે જેને ઘણા લોકો માનતા હોય અથવા તો સદીઓથી ચાલી આવતી હોય અથવા તો ધર્મગ્રંથોમાં લખેલી હોય, જેને લોકો પવિત્ર માનતા હોય. તમારે જાતે તે વાત વિચારીને તે સાચી છે કે ખોટી યા યોગ્ય છે કે અયોગ્ય છે તેનો નિર્ણય કરવો જોઈએ. યાદ રાખો કે એક વિષયમાં ભલે એક હજાર માણસની સંમતિ હોય, પરંતુ જો તે લોકો તે વિષયમાં કશું પણ જાણતા ન હોય તો તેમના મતની કશી કિંમત રહેતી નથી.

સયાજીરાવ ગાયકવાડ


ગાયકવાડ ક્યારેય પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નહી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે હેરાનગતિ વેઠવી પડે

મહારાજા એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા હતા. વાંચવામાં આવ્યું છે તેમ તેમને સવાર સાંજ ફરવા જવાનો નિયમ હતો. તેઓ ગમે ત્યાં હોય પણ આ નિયમનો ભંગ થવા ન દેતા. કાશ્મીરમાં પણ તેમણે આ નિયમ જાળવી રાખેલો.

એક દિવસ સવાર સવારે તેઓ ફરવા નીકળ્યા. સાથે એ.ડી.સી. પણ હતા જ. સડકને છેડે ચાલતાં ચાલતાં એમણે જોયું કે મકાઈના ખેતરમાં ભરપૂર ડૂંડાં ઉગ્યાં છે. એમને થયું કે આજે ડૂંડા ખાવાની મજા કેમ ન માણવી? બસ પછી તો શું? એ.ડી.સી.ની. સાથે ખેતરમાં ઘુસી ગયાં. દૂર ક્યાંક સંતાઈને ખેડૂત બેઠો હતો. જેવું એણે જોયું કે બે રાહદારીઓ ખેતરમાં ધૂસી ગયા છે. અને ડૂંડા તોડવા લાગ્યા છે. કે તરત જ દોડતા એમની પાસે પહોંચી ગયો અને લાગ્યો ખરી ખોટી સૂણાવવા .જ્યારે જોયું કે પેલો ખેડૂત પોતાની વચન વર્ષા બંધ કરતો જ નથી ત્યારે મહારાજાએ એને વચ્ચે અટકાવીને કહ્યું કે ભાઈ મારા અમે તો ગાયકવાડ સરકારના અધિકારીઓમાંથી છીએ અહીંથી પસાર થતાં હતાં પાકેલાં ડૂંડા જોઈને ખાવાનો વિચાર આવ્યો તો ખેતરમાં આવીને એ બે - ચાર ડુંડા તોડયાં જ છે કે તમે... પણ જેવું ખેડૂતે ગાયકવાડ સરકારના અધિકારીઓ માંથી છીએ સાંભળ્યું કે તરત જ એ તો વધારે ગુસ્સે થઈ ગયો કહે તમે તદ્દન જુઠ્ઠા છો.

કેમ ભાઈ જુઠ્ઠા કેમ? મહારાજાએ સહજ જ પૂછી લીધું એટલા માટે કે ગાયકવાડ સરકારની નામના એવી સાંભળી છે કે તેઓ ક્યારેય પણ પોતાના અધિકારીઓને એવું વર્તન કરવા દેતા નથી જેનાથી બીજા ઓને અન્યાય થાય કે કોઈને હેરાનગતિ વેઠવી પડે .લાગે છે કે તમે તો કોઈ ભળતા જ લોકો છો. સાંભળીને બન્ને ચકિત રહી ગયા છેવટે આ બનાવટી અધિકારી ઓએ ખેડૂતને નુકસાની પેટે થોડીક રકમ આપીને એવી દશામાંથી છુટકારો મેળવવામાં જ પોતાનું ભલું જોયું .પણ જો તમે ગરીબ જ મૃત્યુ પામો એ તમારી ભૂલ છે

ઘડતર

ટૉલ્સટૉયને કોઈએ પૂછ્યું : ‘માણસના ઘડતરનું મૂલ્ય શું ?’ ટૉલ્સ્ટોય કહે : ‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે. પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વિશેષ થાય.



દિકરી નો માને પત્ર
સ્વર્ગ માંથી દીકરીએ પોતાની માંને લખેલ પત્ર...!!
મારી વ્હાલી મમ્મી...
તું હવે દવાખાને થી ઘરે આવી ગયી હોઈશ..? તારી તબિયત ની મને ચિંતા થાય છે.. હવે તારી તબિયત સારી હશે..? વ્હાલી મમ્મી તારી કુખે મારો અંશ રહ્યો ત્યારથી મને વાત્...સલ્ય થી ઉભરાતો માં નો ચહેરો જોવાની... ઝંખના હતી. મમ્મી મારા ગાલ તારી એક વહાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતા ના હાથ માં ફૂલ થઇ ને ખીલવું'તું.. મારે મારી માનો ખોળો ખુંદવો તો..... મમ્મી, મારે તારા આંગણ માં પગલી પાડવી તી અને આપણા ઘર ને કિલ્લોલ થી ભરી દેવું તું..મમ્મી, મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની ઝંખના હતી.. કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો કઈ વાંધો ન આવત..મમ્મી, પણ તને કુદરત નો ન્યાય મંજુર ન હતો.
તને તો દીકરા ની ઝખના હતી. તારે માત્ર સંતાન થી ખોળો નો તો ભરવો.. તારે તો ભવિષ્ય ના કમાઉ દીકરા ની સંપતિ થી ઘર ભરી દેવું તું.. મમ્મી, તારે પારકી થાપણ નોતી ઉછેરવી. તારે તો મિલકત નો વારસ ઉછેરવો તો.. અને ઘડપણ માં દીકરા-વહુ નો પ્રેમ, સેવા અને દુ:ખ માં આંસુ લૂછવાનો સહારો જોઈતો હતો. તને મારી કાલી ભાષા સાંભળવાની ઝંખના નોતી..
તને તારી છાતી માં ઉભરતા ધાવણ નું કોઈ ખાસ મૂલ્ય જ નોતું અને એટલેજ મમ્મી તે દવાખાને જઈ ને મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો હશે ? મમ્મી, ત્યારે ડોક્ટર ના ચીપીયા ખાઈ ખાઈ ને તારું આ ફૂલ આક્રંદ કરતુ તરફડતું હતું.. મારા શરીર ના એક પછી એક અંગો કપાઈ ને અલગ થઇ રહ્યા હતા..મને હતું કે હમણાં મારી મમ્મી વ્હારે આવશે પણ તને તો દયા નહિ આવી મમ્મી ! પણ ઈશ્વર ને તો દયા આવી ગયી. ડોક્ટર ના ચીપીયા ના તીક્ષણ અણી થી મારૂં ધબકતું હૈયું ફટ દઈ ને ફાટી ગયું અને ઈશ્વરે મને તરત જ ઉપર બોલાવી લીધી..
મમ્મી, તુયે દીકરી થઇ ને કોઈક માંની કુખે અવતરેલી આ વાત તું કેમ ભૂલી ગઈ ? બીજું તો ઠીક છે પણ તારા પેટ ને મારી કબર બનાવતા તને જરા પણ દયા ના આવી ? ચિંતા ન કરતી મમ્મી, હવે ભઈલો જયારે જન્મ લે ત્યારે તેને આ દીકરી ની યાદ આપજે... અરે હા ! રક્ષાબંધન ના દિવસે મને યાદ કરી ને ભઈલા ને મારા આશીર્વાદ આપજે...!! 


થાકેલા ભગવાન

           કહે છે કે ભગવાન અવતરે છે.અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઉતરવું .હીરણાકશ્યપ થયો ત્યારે ભગવાન નીચે ઉતર્યા ,નહી માણસમાં કે નહિ પશુમાં એ નરસિંહરૂપે અવતર્યા અને હીરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા.
           પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે બલિ આવ્યો એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઉતર્યા .ત્રણ પગલામાં ત્રિભુવન માપી બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં દે છે .
           તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે,પણ જેવો હાથ લઇ લીધો કે હતું તેમનું તેમ .એમ વામનના ગયા પછી થયું .એટલે વળી પાછા રામ આવ્યા ,બહુ સારું રાજ કર્યું .રામ પણ ગયા .
            છેલ્લે કૃષ્ણ આવ્યા .મહાભારતનું યુદ્ધ થયું.કૌરવ -પાંડવ લડ્યા છેવટે કોઈ  ન બચ્યું.યાદવો પણ અંદરો-અંદર લડાઈ કરીને મરી ગયા.આ બનાવથી હતાશ થઇ  ભગવાન એક  પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી પગ ઉપર પગ ચઢાવી સુતા હતા.એમને હરણ માની એક પારધીએ તીર માર્યું ,તે ભગવાન ને વાગ્યું.એમનો સારથી પાસે હતો,તેને પૂછ્યું 'ભગવાન ,કંઈ સંદેશો કહેવાનો છે?'
          ભગવાન જવાબ આપ્યો ;'હવે તો હું થાક્યો છું.હવે હું બીજો અવતાર લેવાનો નથી.સંદેશો તો મેં 'ગીતા'માં જ આપી દીધો છે."માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો ,કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી. 


                   પ્રેરક પ્રસંગ---2




[1]  પરદેશી ધરતી – અજ્ઞાત ( ‘ગુજરાત દર્પણ’ સામાયિક (અમેરિકા), એપ્રિલ-2006 માંથી સાભાર
પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન !
એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’
‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી.
અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને.
દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું. અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઑફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હૉસ્પિટલ તરફ મારી મૂકી.
હૉસ્પિટલના મુખ્ય ડૉકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’ માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં. હતા માત્ર પ્રતીક્ષામાં. પસાર થઈ રહેલી પળોની ગણત્રીમાં અને કોઈ અજ્ઞાત ભયની ચિંતામાં.
સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા.
લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. મૂંગા મૂંગા બેસી રહેતા, ને ફરી ઊભા થઈ જતા. કમળાબા મનમાં ઈષ્ટદેવ શ્રીનાથજીનું સ્મરણ કરી રહ્યાં હતાં, ‘બધું સમું-સૂતરું પાર ઉતારજો, શ્રીજી બાવા!’
થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ ! કમળાબાના મનમાં પ્રશ્ન થયો, કશું ચિંતાજનક ? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.
‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું ? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં ! રમાને કંઈ…..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.
‘હું જોઉં….’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું ? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં. રમાના યોગક્ષેમની ચિંતામાં કાળજું કંપતું હતું.
ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઊઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દશ્ય આશ્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં.
અંદર અંગ્રેજ ડૉકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.
એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ ? અહીં કેમ ઊભાં છો તમે ?’
‘તમે શું કરતાં હતાં ?’ કમળાબેને સામું પૂછ્યું.
‘પ્રાર્થના ! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં !’
‘શી ?’
‘એ કે, મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઑપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ !’ નિગ્રો નર્સે કહ્યું.
કમળાબાને થયું, ‘અરે વાહ ! આ ધરતી પરદેશી હતી ? કે સવાયી સ્વદેશી ?’
.
[2] મનની મોટાઈ – બેપ્સી ઍન્જિનિયર
ઈંગલેન્ડમાં આવેલું નોરફોકનું પરગણું. ત્યાંનો એરૂનડેલનો કિલ્લો જેટલો પુરાણો એટલો જ ખ્યાત નામ.
નોરફોકના રેલ્વે સ્ટેશન પર એક દિવસ ગાડી આવી થંભી. ગાડીના ડબ્બામાંથી એક બાળા ડોકાઈ. પહેલીવહેલી વાર એ અહીં આવી હશે એમ મોંના ભાવ પરથી લાગતું હતું. બાળા આઈરીશ હતી. તે નીચે તો ઊતરી પણ તેની બૅગ કેમ ઉતારવી ? ખૂબ ભારેખમ હતી એ. એના પોતાના વજનથી બમણી. આમતેમ નજર દોડાવતી રહી. ટ્રેન ઊપડે તે પહેલાં કોઈ મજૂર મળે તો….. તે નાની બાળા એરૂનડેલના કિલ્લામાં કામવાળીની હેસિયતથી અહીં આવી હતી.

એક સરસ પ્રેરણાદાયક વાર્તા !!
એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…
પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”
માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”
માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.
પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.
માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.
પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.
માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”
પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.
માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.
પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.
માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.
બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો
સૌજન્ય – દિનેશ રાજપૂત

1 comment:

  1. તમારા દવારા રજુ થયેલ પ્રેરક પ્રસંગો ઘણાના જીવન બદલી નાખશે
    shingadia sir
    from principal
    vinay mandir-sarnagpipali
    9925491538

    ReplyDelete